આ સંસારમાં કોઈ ખરાબી નથી, કોઈ પ્રતિકૂળતા નથી એવું કહી શકાય નહિ અને એવું પણ નથી કે બાહ્યજગતમાં જે બૂરાઈઓ તથા ત્રુટિઓ છે તેમને સુધારી કે બદલી ન શકાય. એ તો કરવું જ જોઈએ, પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સમગ્ર સંસારને સુધારવો કે આપણી ઈચ્છાનુકૂળ બનાવવો શક્ય નથી. આખી પૃથ્વી પર પથરાયેલા કાંટાને હીણી શકાય નહીં, પરંતુ પોતાના પગમાં જોડા પહેરી શકાય છે, જેથી કાંટાના પ્રભાવથી બચી શકાય. પોતે સુધરવું, પોતાના દ્રષ્ટિકોણને શુદ્ધ કરવો તે જોડા પહેરીને કાંટાથી નિશ્ચિત થવા બરાબર છે. બાહ્યજગતની બૂરાઈઓને સુધારવા માટે પોતાની ઉત્કૃષ્ટતા આવશ્યક છે. કીચડને કીચડથી નહી, શુદ્ધ જળથી જ ધોઈ શકાય છે. ક્રોધને ક્રોધથી નહીં, શાંતિથી પ્રરાસ્ત કરી શકાય છે. આપણે સ્વયં મલિન હોઈશું, બૂરાઈઓથી ખરડાયેલા હોઈશું તો બીજાઓને કેવી રીતે સુધારી શકીશું? જો અંત:કરણમાં સમસ્યાઓનાં જાળાં ગુંથાયેલાં હોય તો બહારની મૂંઝવણોનો ઉકેલ લાવવો કઈ રીતે શક્ય બનશે?
આ કોયડાઓને ઉકેલતાં આપણે એ ન ભૂલીએ કે મોટા ભાગની સમસ્યાઓનું સમાધાન આપણી અંદર જ રહેલું છે. પોતે સુધરવું, પોતાનું ઘડતર કરવું પોતાની ઉન્નતિ કરવી એ જ એવો ઉપાય છે કે જેનાથી દુનિયા સુધરી શકે છે
| < Prev | Next > |
|---|










